Std 10 Sanskrit Unit 1
सं वदध्वम् ।
વેદો ભારતીય જ્ઞાન અને ધર્મપરંપરાના આદિસ્રોત છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ નામથી જાણીતા આ ચાર વેદ પદ્યાત્મક છે. વેદનાં આ પદ્યોને મંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આવા મંત્રોમાં અનેક પ્રકારની સ્તુતિઓ આવેલી છે. આવી સ્તુતિઓ દ્વારા ઉપદેશ પણ આપવામાં આવ્યો છે.
વેદની વિચારધારાને આગળ ધપાવવા માટે વેદની આ પ્રકારની પ્રાર્થનાઓમાંથી પ્રેરણા લઈને જુદા જુદા વિદ્વાન ભક્ત-કવિઓએ પણ અનેક સ્તુતિઓ, પ્રાર્થનાઓ જુદા જુદા લૌકિક છંદોમાં રચી છે. આવી પ્રાર્થનાઓ પણ પદ્યમાં હોય છે અને તેને શ્લોક તરીકે ઓળખવામાં આવે છે. આ રચનાઓમાં પણ વેદોની જેમ વૈશ્વિક ખ્યાલ રાખવામાં આવ્યો છે એટલું જ નહિ, મનુષ્યથી પણ આગળ વધીને પ્રાણીમાત્રના કલ્યાણની કામના વ્યક્ત કરવામાં આવી છે. આવી જ સુપ્રસિદ્ધ બે પ્રાર્થનાઓ પણ અહીં પ્રસ્તુત છે.પ્રત્યેક કાર્યનો પ્રારંભ કરતા પહેલાં મંગલાચરણ કરવાની આપણી પરંપરા છે. આ પરંપરાને અનુસરીને આ મંત્રો તેમજ શ્લોકો દ્વારા સંસ્કૃતના અભ્યાસનું મંગલાચરણ કરીશું. પ્રસ્તુત પાઠમાં પસંદ કરાયેલા ઋગ્વેદના મંત્રમાં સામાજિક વ્યવહાર અંગેનો ઉપદેશ છે. યજુર્વેદમાંથી પસંદ કરાયેલા બીજા મંત્રમાં દુર્ગુણોને દૂર કરવા માટેની પ્રાર્થના છે. જ્યારે ત્રીજા અથર્વવેદના મંત્રમાં પારિવારિક જીવનનો આદર્શ બની રહે તેવો એક ઉપદેશ આપવામાં આવ્યો છે. છેલ્લાબે શ્લોકમાં સમગ્ર સમાજ તથા દેશનું હિત અને કલ્યાણ થાય એવી શુભકામના પ્રગટ થયેલી છે.